Thursday, January 17, 2013

॥ કલમ અનંત, કલમ-કથા અનંતા ॥




॥ કલમ  અનંત, કલમ-કથા  અનંતા ॥

“The pen is the tongue of the mind.” 

-Miguel de Cervantes Saavedra. A Spanish novelist, poet, and playwright.(1547-1616)


પ્રિય મિત્રો,


તાજેતરમાં જ, ગુજરાતની તેરમી વિધાનસભાના ચૂંટણી પર્વમાં જ્યારે સમગ્ર ગુજરાત `ક = કમળ`નો `ક` મય થઈ ચૂક્યું છે ત્યારે, સમસ્ત ભારતને, `ક = કલમ` ના, આ સ્પષ્ટ ચુકાદામાં, ગુજરાતી શાંતિપ્રિય સાક્ષર જનતાની સૂઝબૂઝનાં દર્શન થાય, તે કાંઈ નવાઈ પામવા જેવી બાબત હરગિજ નથી. આમેય આપણે ત્યાં બાળપણથી શાળાઓમાં બારાખડી શિક્ષણમાં `ક = કલમ`ના `ક` દ્વારા જ શિક્ષણના શ્રીગણેશ થાય છે. આપણી કહેવતમાં પણ  કલમ એટલેકે `Pen` નું મહત્વ દર્શાવતાં કહેવાય છેકે, "લખે-વાંચે (ભણેગણે) તે જણ નામું લખે અને અભણ તેને દીવો ધરે." જોકે, ગર્ભમાં કે જન્મમાં, સુખમાં કે દુઃખમાં,વ્યવહારમાં કે તહેવારમાં, જ્ઞાન કે વિજ્ઞાનમાં દરેક સમયે કલમ વિના આપણને ચાલતું નથી, તે બાબત આપણા જીવનમાં કલમની ઉપયોગિતા કે મહત્વ દર્શાવે છે.જુઓને, હિન્દી ફિલ્મ જગતમાં, જેનિલિયા ડિસોઝા નામની એક અજાણી સુંદર નાયિકાએ, મિલેનિયમ સ્ટાર શ્રીઅમિતાભ બચ્ચન સાથે પેનની એક જાહેરાતમાં ભલે જાહેરાત પૂરતું, માત્ર એકવાર માથું કલમના ખોળે મૂક્યું, ત્યાંતો તેને આ પેન મૈયા એવાં ફળ્યાં કે, તે આજે રૂપેરી પરદા પર છવાઈ જઈ પ્રસિદ્ધિના શિખર પર બિરાજે છે..! 

ખરેખર તો,ગુજરાતના આદરણીય આદ્યકવિશ્રીનર્મદે જે ભક્તિ અને શક્તિથી કલમને ખોળે માથું મૂક્યું હતું તેજ રીતે, કેવળ કલમના ખોળે માથું મૂકીને જીવનારા સાહિત્યકારો આજે પણ હયાત છે. આ સાહિત્યકારો કલમનેજ ઈશ્વર માને છે અને જિંદગીને ઈશ્વરે ભેટ કરેલું એક પુસ્તક..! કોઈ સાહિત્યકાર-રચનાકાર, કલમ દ્વારા શ્વેત કાગળ પર જ્યારે, મનના ભાવ પોતાની કલમની જુબાન ખોલીને હૈયાની વાણીને શબ્દરૂપ આપે છે ત્યારે, પેન મૈયા અત્યંત હેતથી સુંદર હાલરડું ગાતી હોય તેમ ભાસે છે..! તેથીજ, ઘણા વિદ્વાન પાઠક મિત્રોને આજે પણ કોઈપણ કથા-સાહિત્યને દ્ગશ્ય-શ્રાવ્ય સ્વરૂપે નિહાળવા કરતાં, અનેરી કલ્પના તંદ્રામાં સરી જઈ તે અનુભવ શબ્દની હૂંફમાં માણવાનું વધારે રુચિકર લાગે છે..!    

તો મિત્રો, ચાલો આપણે આજે અત્રે,  દેખાવમાં નમણી, નાજુક તથા સ્વભાવમાં સાવ કોમળ જણાતી તથા લેખક-કવિઓની પ્રિય એવી કલમનું (PEN)  યથાશક્તિ ૠણ અદા કરવાનો એક નમ્ર પ્રયાસ કરીએ.

કલમ અર્થ-કથા-માહાત્મ્ય.

મિત્રો,કલમનો સાદો સ્થૂળ અર્થ, કલમ=પેન=લેખણ=કિત્તો=લખાણ=લેખનશૈલી વગેરે ભલે થતો હશે પરંતુ,  સ્પેનિશ કવિ-લેખક-નાટ્યકાર મિગ્યુએલના (Miguel) જણાવ્યા પ્રમાણે, કલમ અથવા પેન, તે આપણા મનની જીભ છે. જેમ ભીતરની લાગણીને જીભના માધ્યમ દ્વારા, આપણે બોલીને વ્યક્ત કરીએ છે, તેજ પ્રમાણે આપણા મનમાં ઉદ્ભવતા વિચારોને પેનના માધ્યમથી આપણે અંકિત કરીએ છે.જોકે, મારા મતે પેન આપણી લાગણીઓને વ્યક્ત કરતા સાધનથી પણ, વિશેષ અગત્યતા ધરાવતું માધ્યમ છે કારણકે, પેનનું માહાત્મ્ય બરાબર જાણતો માનવી, પોતાના વિચારોને કાગળ પર અંકિત કરતી વેળા જ્યારે-જ્યારે ક્ષણભર ચિંતન-મનન કાજે થોભે છે ત્યારે-ત્યારે,  વિરામ દરમિયાન વિવિધ વિષયોના ચિંતન દ્વારા, પોતાના જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, સાથે-સાથે જીવનદર્શનના નિત્ય નવા પાઠ પણ ભણતો હોય છે..! એનું સચોટ ઉદાહરણ પણ આ રહ્યું, ઋષિ પરાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પુત્ર  શ્રીવેદવ્યાસજીએ જ્યારે મહાભારતની રચના કરી ત્યારે, શ્રીવ્યાસજીએ પુસ્તક લખવા માટે શ્રીગણેશજીની મદદ માંગી, ભગવાન શ્રીગણેશજી એ શરત મૂકી કે, વ્યાસજીએ કથા વર્ણન સમયે ક્યાંય અટકવું  નહીં. જોકે,શ્રીવેદવ્યાસજીએ પણ સામી શરત રાખી કે,પોતે  વર્ણવેલાં તમામ પદને સમજ્યા પછી જ શ્રીગણેશજી એ લખવાં.જ્યારે, શ્રીવેદવ્યાસજીને વિરામ જોઇતો હોય ત્યારે, તેઓ એકાદ અઘરું પદ મૂકી, શ્રીગણેશજીને મૂંઝવણમાં મૂકીને વિરામ મેળવતા. આ બે મહાન આત્માઓએ અત્યંત ઝીણવટભર્યા જીવનદર્શન વ્યાપ્ત સારા-માઠા પ્રસંગો ઉપર  રચેલા, આ અદ્ભુત મહાકાવ્ય મહાભારત અંગે આથીજ એમ કહેવાય છેકે, જે મહાભારતમાં નથી, તે વિશ્વમાં ક્યાંય નથી..!

મિત્રો,જરા વિચારી જુઓ..! કાગળ કે કલમ નું અસ્તિત્વ ન હોત તો..! ધરતીને આપણે માતા માનતા હોઈએ તો આપણે સહુ તેનાં લાડકવાયા સંતાન છીએ. આ સંતાનની ભીતરની લાગણીઓને વાચા આપવા માટે ધરતીમાતાએ જ તો આપણને કાગળ-કલમની ભેટ આપી છે.
કલમનો વિચારૌદ્ભવ.

माता  समं  नास्ति  शरीर  पोषणम ।

અર્થાત્- માતા સમાન શરીરને પોષણ આપનાર (અન્ય) કોઈ નથી.

કોઈ ભેદભાવ વગર, સુપેરે, આપણા સહુનું પાલનપોષણ કરનારી આ ધરતી પર આશરે ૨,૦૦,૦૦૦ વર્ષ અગાઉ માનવ સંસ્કૃતિનો વિકાસ પ્રારંભ થયો હતો. શરૂઆતમાં પાણીના તથા અન્નભંડારની પ્રચુર માત્રામાં ઉપલબ્ધિના સ્થળોની આસપાસ માનવ વસવાટ શરૂ થયો. પોતાના મનના વિચારોની અભિવ્યક્તિના પ્રારંભે ચિત્ર-વિચિત્ર અવાજ, ત્યારબાદ સંકેત-ઇશારા અને છેલ્લે આસપાસ ઊગતી વનસ્પતિના લીલા-સુકા સાંઠા દ્વારા, માટી-રેતી કે ગુફાઓમાં પથ્થર ઉપર આડીઅવળી જણાતી લિપિના માધ્યમથી માનવી વિચાર-સંદેશનું આદાનપ્રદાન કરતો થયો. `માનવીની જરૂરિયાત અનેક શોધખોળની જનની છે` તે ન્યાયે, છેક ઈસુ પૂર્વ ૨૩મી સદીમાં ચીનમાં પ્રથમવાર ગ્રૅફાઈટ સ્ટોનમાંથી શાહી બનાવી અને તેનો વ્યાપક ઉપયોગ શરૂ થતાં, છેવટે વિવિધ ભાષા, લેખનકળા તથા મુદ્રણકલા અસ્તિત્વમાં આવી.

જોકે,ભારતમાં કોલસો,ડામર તથા બાળેલાં હાડકાં વગેરેમાંથી શાહી બનાવવાની શરૂઆત, ઈસુ પૂર્વ ચોથી સદીમાં થઈ. તે સમયે, મેજ ઉપર, નજર સામે ગોઠવેલા શાહી ભરેલા ખડિયામાં, બરુ ના કિત્તાને (નેતરની જાતનું ઘાસ) અથવા મોટા પક્ષીઓનાં પીછાંની અણીને વારંવાર બોળીને લેખનકાર્ય કરવામાં આવતું હતું. આપણાં પુરાણ તથા રામાયણ,મહાભારત જેવા મહાગ્રંથ આ પ્રકારે લખવામાં આવ્યા હતા.આજે પણ જેતે સમયે આ રીતે લખાયેલ, બૌદ્ધ-જૈન-હિંદુ તથા અન્ય ઘણા ધર્મના અનેક જુના હસ્તલિખિત ગ્રંથ-દસ્તાવેજ અને લેખ ક્યાંક જોવા મળી જાય છે..!  

સંસ્કૃતમાં કહેવત છેકે,"आकृति गुणान कथयति ।"  અર્થાત્, માણસના ચહેરા ઉપરથી તે જણ કેવા ગુણ ધરાવે છે તે જણાઈ આવે છે પરંતુ, મરોડદાર, સુંદર અક્ષર, જેતે માનવીની સંપૂર્ણ જીવન કથા બયાન કરી શકે છે. કલમ ભલેને વિચારોની અભિવ્યક્તિનું એક સાધન હોય પરંતુ, તેના દ્વારા થતા લખાણની શૈલી દ્વારા જ માનવીની ઓળખ સ્થાપિત થાય છે.

નિતાંત સત્ય તો એ છેકે, માનવી કદાચ બોલેલા શબ્દ અંગે જુઠ્ઠું બોલીને ફરી જઈ શકે પરંતુ, લખેલા શબ્દ કાયમ ફરી વાંચી શકાય છે અને તે  કોઈપણ જુઠ્ઠારાને બેનકાબ કરી શકે છે. આથી જ અસત્ય બોલીને, જાતે સુંદર દેખાવા કરતાં, સુંદર સત્ય કથનાક્ષર હોવા તે બાબત જીવનમાં વધારે મહત્વ ધરાવે છે.મરોડદાર અક્ષર ન હોવાનો, પૂજ્યમહાત્મા ગાંધીજીનેય આખી જિંદગી વસવસો રહ્યો હતો તેથીજ પૂ.બાપૂએ કહ્યું હતું કે, ‘ખરાબ અક્ષર અધુરી કેળવણીની નિશાની છે.’ જોકે, આજકાલ શાળાઓમાં બાળકોને શિક્ષણની શરૂઆત હવે `કેલિગ્રાફી` કળાના ખાસ અલગ અભ્યાસ દ્વારા કરાવવાની શરૂઆત અવશ્ય થઈ છે તે એક સારી બાબત છે. 

વર્તમાન પેનનું (PEN) પદાર્પણ.

મિત્રો, પેન (PEN) શબ્દ, મૂળ લૅટિન શબ્દ `Pinna` (Feather = પીછું ) પરથી પ્રચલિત થયો છે. માઈકલ ફિનલેના સંશોધનાત્મક પુસ્તક,"Western Writing Instruments" માં નોંધ્યા મુજબ, વિશ્વની સૌથી જુની ફાઉન્ટન પેનની શોધ, સન-૧૭૦૨માં ફ્રાન્સના રાજાના સંસાધન ડિઝાઈનર મિ. એમ.બિયોન દ્વારા, કરવામાં આવી હતી.



ત્યારબાદ,મિ.પિયરિગ્રીન વિલિયમ્સન તથા બાલ્ટિમોર શૂમાકર દ્વારા સન-૧૮૦૯માં બહોળા ઉત્પાદનના ઇરાદાથી ફાઉન્ટપેનની પેટન્ટ કરાવવામાં આવી. આજ ઇરાદા સાથે સન-૧૮૧૯માં જ્હોન સ્કિફરે પણ મેટલ પેનની પેટન્ટ મેળવી હતી પરંતુ, તે દરેક પેનમાં વપરાશ અંગે ડિઝાઈનની કોઈને કોઈ સમસ્યા હોવાથી તે લોકભોગ્ય ન બની શકી. અંતે જ્હોન જેકૉબ પારકરે સન-૧૮૩૧માં જાતે શાહી ભરી શકાય તેવી સરળ વપરાશને યોગ્ય ફાઉન્ટન પેનની પેટન્ટ રજીષ્ટર્ડ કરાવી. સન-૧૮૮૪માં ન્યૂયોર્કના મિ.લેવિસ એડ્સન વૉટરમેન (Lewis Edson Waterman) દ્વારા ખરેખર કાર્ય કરતી ફાઉન્ટન પેન શોધાઈ જેમાં શાહી પૂરવાની અલગ-અલગ પદ્ધત્તિઓ જેમકે, બટન ફિલર પેન(ટ્યૂબ દ્વારા),લીવર ફિલર પેન(લીવર દ્વારા),ક્લિક ફિલર પેન(સક્શન દ્વારા),મેચસ્ટિક ફિલર પેન(પ્રેશર દ્વારા),કોઈન ફિલર પેન(આંતરિક દબાણ દ્વારા) વગેરે નોંધપાત્ર હતી. આ તમામ પેન ખાસી લોકપ્રિય થઈ ગઈ. ખાસ કરીને લગભગ ૧૯મી સદીમાં અત્યંત લોકપ્રિય એવી ફાઉન્ટન પેનનો ઉપયોગ તેના ચરમ શિખર પર હતો ત્યારે તે અનેક અમીર ઉમરાવ લોકો માટે તે સ્ટેટ્સ સિમ્બોલ બની ગઈ હતી. આપણા રાજા-મહારાજાઓ તો વળી હાથીદાંતમાંથી બનાવેલી, જાત-જાતને ભાત-ભાતના હીરામાણેક રત્નથી જડિત કિત્તા-કલમ-ફાઉન્ટન પેન વાપરવામાં પોતાની અનેરી શાન સમજતા હતા. હવે તો આજકાલ આવી અમૂલ્ય ફાઉન્ટન પેનના ઍન્ટિક અવશેષ, રાજા-રજવાડાના મ્યુઝિયમની શોભામાં અભિવૃદ્ધિ કરતા જોવા મળે છે.

સન-૧૯૬૫ની આસપાસના સમયમાં,અમે સહુ મિત્રો જ્યારે, ઘોરણ-૯-૧૦માં અભ્યાસ કરતા ત્યારે,દરેક વિષયની નોટ્સ બનાવવાનું ગૃહકાર્ય અમને ઘણું કઠતું અને એવા વિચાર આવતાકે, આ કંટાળાજનક કાર્યને ટાળવા એકમેકમાંથી લખાણ જો કૉપી-પેસ્ટ કરી શકાતું હોય તો કેવું સારું..! જોકે, હવે તો હાથવગાં કૉમ્પ્યુટર્સ પર આ કાર્ય સરળતાથી થઈ શકે છે અને છતાં પણ આજે પેનનું મહત્વ સહેજ પણ ઘટ્યું હોય તેમ જણાતું નથી, તે બાબત તેની અનિવાર્યતા દર્શાવે છે. આજે પણ, આશરે ૭૦-૮૦ના દશકની વયે પહોંચેલા, આપણા ઘણા આદરણીય પાઠકશ્રીઓને શાળાએ જતાં-આવતાં, પોતાના પરમ સખાની સાથે ધિંગામસ્તી કરતી વેળાએ, એકમેકના શર્ટ પર ફાઉન્ટન પેનની નિબમાંથી છાંટેલી શાહી અને ત્યારબાદ ઘેર પરત ફરતાં માતા-પિતા દ્વારા મળેલા કડવા-મીઠા ઠપકા જરૂર યાદ હશે..! આ ઉપરાંત, ફાઉન્ટન પેનમાં વારંવાર શાહી ભરવાની ઝંઝટ, શાહી ઢોળાવાની માથાકૂટ અને ઘણીવાર ફાઉન્ટન પેન લીક થાય ત્યારે, આંગળાંનાં ટેરવાં અને કપડાં શાહીની ડાઘાડૂઘીથી બગડવાની ગંભીર સમસ્યાના ઉપાય ન હતા, તેવા સમયે સન-૧૮૮૮માં અમેરિકાના એક ચર્મકાર મિ.જ્હોન લાઉડના નામે બોલપેનનો આવિષ્કાર થયો તથા તે પેટન્ટ (British patent-15630-October30,1888) પણ કરાવવામાં આવ્યો. જોકે, તે બોલપેન અત્યંત લીક થતી હોવાને કારણે, બોલપેન ખરેખર વ્યવહારમાં તો, સન-૧૯૩૧માં હંગેરી દેશની રાજધાની બુડાપેસ્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રિય વેપાર મેળામાં આજ શહેરમાં જન્મેલા એક વર્તમાનપત્રના ન્યૂઝ ઍડીટર મિ.લિસ્ઝો જોસેફ દ્વારા સર્વપ્રથમવાર જાહેરમાં બોલપોઇંટ પેનનું(Ball pen) જાહેર નિદર્શન કરવામાં આવ્યું ત્યારથી આવી. મિ.લિસ્ઝોએ જ્યારે નોંધ્યુંકે, ફાઉન્ટન પેનની શાહી ના મુકાબલે, છાપખાનામાં છાપકામની (Newspaper printing) ઘટ્ટ શાહી તરત સુકાઈ જાય છે ત્યારે, તેઓએ તે ન્યૂસપેપરની શાહીને ફાઉન્ટન પેનમાં ભરીને લખવાનો પ્રયત્ન કર્યો.જોકે, તેનો પ્રવાહ અટકી જવાને કારણે તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. ત્યારે છેવટે, પોતાના કેમિસ્ટ ભાઇની મદદથી તેમણે એક સૉકેટ જેવા હિસ્સામાં સરળતાથી રગડી શકે તેવા નાના બોલ(દડો-છરો?)ની રચના કરીને બોલપેનનો સફળ આવિષ્કાર કર્યો અને જાણે દુનિયાને બોલપેનની પાછળ ઘેલું કરી દીધું..! 

"The season of failure is the best time for sowing the seeds of success." 

-Paramahansa Shri Yogananda 

સમયાંતરે,ઘણા બધા સુધારા સાથે, કેટલીક વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ દ્વારા ઓઇલ મિશ્રિત ઘટ્ટ શાહીનો ઉપયોગ કરી તેને, ૦.૦૭ mmથી લઈને ૧.૨ mm ના બોલપોઇંટ સાથેની બોલપેન ચલણમાં મૂકવામાં આવી અને બોલપેનનું લખાણ લખતાંની સાથે તરત સુકાઈ જતું હોવાથી, ફાઉન્ટન પેનની ઉપર દર્શાવેલી તમામ સમસ્યાઓનો માનોને અંત આવી ગયો..! આજ કારણસર, આજે પણ ફાઉન્ટન પેનના મુકાબલે, સાવ સસ્તાભાવની બોલપેનનું ચલણ વિશ્વમાં સર્વત્ર સ્વીકાર્ય મનાય છે.

વિશ્વની દસ સહુથી કિંમતિ પેન.

૧. TIBALDI Pens CREW 60TH ( ટીમ્બાલ્ડી-ઈટાલિયન વૈભવી પેન ઉત્પાદક)
$ ૪૩૦૦૦=રૂ.૨૩,૬૭,૫૮૦/- 

(ત્રેવીસ લાખ,સડસઠ હજાર,પાંચસો એંસી રૂપિયા)

૨. Gaia High Luxury Omas Fountain Pens (ઓમસ- ઈટાલિયન વૈભવી પેન ઉત્પાદક)
$ ૪૩૦૦૦=રૂ.૨૩,૬૭,૫૮૦/- 

(ત્રેવીસ લાખ,સડસઠ હજાર,પાંચસો એંસી રૂપિયા)

3.8. MARTE Omas Fountain Pen (ઓમસ- ઈટાલિયન વૈભવી પેન ઉત્પાદક)
$ ૪૩૦૦૦=રૂ.૨૩,૬૭,૫૮૦/-

(ત્રેવીસ લાખ,સડસઠ હજાર,પાંચસો એંસી રૂપિયા)

૪. Visconti The Forbidden City H.R.H. Fountain Pen - (વિસ્કોન્ટી-ઈટાલિયન વૈભવી પેન ઉત્પાદક)
$ ૫૦૫૦૦=રૂ.૨૭,૮૦,૫૩૦/- 

(સત્તાવીસ લાખ,એંસી હજાર,પાંચસો ત્રીસ રૂપિયા)

૫. Visconti Alchemy H.R.H. Fountain Pens 
 $ ૫૭૦૦૦=રૂ.૩૧,૩૮,૪૨૦/-

(એકત્રીસ લાખ,આડત્રીસ હજાર,ચારસોવીસ રૂપિયા) 

૬. Visconti Ripple H.R.H. Fountain Pen 
  $ ૫૭૦૦૦=રૂ.૩૧,૩૮,૪૨૦/- 

(એકત્રીસ લાખ,આડત્રીસ હજાર,ચારસોવીસ રૂપિયા) 

૭. Omas Phoenix Platinum Fountain Pen Luxury Limited Edition with Diamonds (ઓમસ- ઈટાલિયન વૈભવી પેન ઉત્પાદક)
$ ૬૦,૦૦૦=રૂ.૩૩,૦૩,૬૦૦/- 

(તેત્રીસ લાખ,ત્રણ હજાર,છસો રૂપિયા)
૮. La Modernista Diamonds (સ્વિસ કંપની)
(Most expensive pen in GUINNESS WORLD RECORDS in 2001.)
$ ૨,૬૫,૦૦૦=રૂ.૧,૪૫,૯૦,૯૦૦/- 

(એક કરોડ,પિસ્તાળીસ લાખ,નેવું હજાર,નવસો રૂપિયા)

૯. Mystery Masterpiece Mont Blanc and Van Cleef & Arpels Limited Edition  (જર્મન કંપની) 
$ ૭,૩૦,૦૦૦=રૂ.૪,૦૧,૯૩,૮૦૦/-

( ચાર કરોડ, એક લાખ, ત્રાણું હજાર,આઠસો રૂપિયા)

૧૦. Aurora Diamante fountain pen  (ઈટાલિયન કંપની) 
$ ૧૪,૭૦,૬૦૦=રૂ.૮,૦૯,૭૧,૨૩૬/-

( આઠ કરોડ,નવ લાખ,ઇકોત્તેર હજાર,બસો છત્રીસ રૂપિયા)


ભારતમાં વૈભવી પેનનો વૈભવ.

સન-૧૯૪૫માં, ભારતમાં, સર્વપ્રથમ ફાઉન્ટન પેન બજારમાં  મૂકવાનો શ્રેય કેમલ કંપનીના ફાળે છે. જોકે,ત્યારબાદ  રૅનોલ્ડ,પાર્કર,મૉન્ટ બ્લૉંક જેવી અનેક દેશી-વિદેશી  કંપનીઓ આ ક્ષેત્રમાં કાર્યરત થઈ છે. તે જમાનામાં `પાર્કર-૫૧`ના ચાહકો આજે પણ ચાહક તરીકે અડીખમ છે.આને કારણે હાલ આશરે ૫૦ જેટલી બ્રાન્ડ પેન માર્કેટમાં એકમેકની તંદુરસ્ત વેપાર સ્પર્ધા કરી રહી છે. જોકે,હવે ફાઉન્ટન પેનનાં વળતાં પાણીને કારણે પેનબજારમાં, ગ્રાહકોનો ૯૦%  હિસ્સો માત્ર બોલપેન પસંદ કરે છે, જેમાં વિદ્યાર્થીઓનો સિંહફાળો હોવાથી પેન ઉત્પાદક કંપનીઓ તેમને ખરીદી માટે લલચાવવા, પેનને કાયમ નવા રંગરૂપ,આકાર આપીને બજારમાં પેન ઠાલવતા જાય છે.જોકે, આજે પણ કેરલમાં અન્ય રાજ્યોને મુકાબલે બોલપેન કરતાં ફાઉન્ટન પેનનું ચલણ સૌથી વધુ છે. ભારતમાં લેખન સંસાધન સામગ્રીનું બજાર વાર્ષિક લગભગ રૂ.૨૫૦૦ કરોડનું છે.આજકાલ કૅમલીનની નવી પ્રસ્તુત થયેલી, `Y2K Plastic pen` માં તો કોઈપણ રીફીલમાં બંધબેસતી થતી હોવાથી તે અત્યંત લોકપ્રિય છે.દેશમાં રૅનોલ્ડસ્ તથા સેલો બોલપેનનું વેચાણ પણ નોંધપાત્ર છે.આ ઉપરાંત,સીઅફેર, ક્રોસ, પાર્કર, વૉટરમેન, લેમી,યુનીબોલ, મર્સીડીઝ, ફિશર,લક્સર,ગોલ્ડમેટ,જીએમ પેન,રૉટોમેક,સ્ટિક,ફ્લેઇર જેવી નામાંકિત બ્રાન્ડ્સની પણ બોલબાલા છે. 

મિત્રો, અત્રે નોંધવા જેવું છેકે, અમેરિકન ક્રાંતિના પરિપાક રૂપે સ્વતંત્રતાની જાહેરાતની તારીખ-૪ જુલાઈ ૧૭૭૬ના દિવસે, તે સમયના કૉમનવેલ્થ ઑફ મેસેચ્યુસેટ્સના પ્રથમ ગવર્નર મિ.જ્હોન હેનકોક દ્વારા સ્વતંત્રતાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.મિ.જ્હોન હેનકોક તેમના સ્ટાઇલિશ અને સાઇઝમાં મોટા કહી શકાય તેવા હસ્તાક્ષરને કારણે પ્રસિદ્ધ હતા. તેઓના માનમાં આવનાર દરેક વર્ષની માફક,  નવા વર્ષ ૨૦૧૩માં જાન્યુઆરી માસની ૨૩મી તારીખે અમેરિકન "Writing Instrument Manufacturers Association (WIMA)" દ્વારા સમગ્ર અમેરિકા `નેશનલ હૅન્ડરાઇટિંગ ડૅ" ઊજવશે. 

ઉપરોક્ત પ્રસંગના સંદર્ભે, WIMA ના ઍક્સિક્યુટીવ ડાયરેક્ટર મિ.ડૅવિડ બેકર કહે છે," કમ્પ્યુટર્સ-ઇમેઇલ વગેરે ભલે આપણા જીવનમાં મહત્વના થઈ ગયા હોય છતાં પણ, હાથ વડે લખાયેલા શબ્દની સ્વતંત્ર ઓળખ અને તેની અસરકારકતા કોઈ ઓછી કરી શકે તેમ નથી." યોગાનુયોગ, આ વિચારનું હિન્દી ફિલ્મના જાણીતા નિર્માતા-નિર્દેશક-ચરિત્ર કલાકાર શ્રીપંકજકપૂરે પણ જાણેઅજાણે સમર્થન કર્યું  છે..! શ્રીપંકજકપૂરની તાજેતરમાં રજૂઆત પામેલી સફળ હિન્દી ફિલ્મ-મોસમના શૂટિંગ સમયે, ફિલ્મના હીરો શાહીદકપૂર તથા હિરોઈન સોનમકપૂર વચ્ચે ફિલ્મમાં પ્રેમી-પ્રેમિકાના રોલમાં એકમેક માટે વાસ્તવિક સંવાદિતા માટે શ્રીપંકજકપૂરે બંને વચ્ચે રૂબરૂ અથવા મોબાઈલ, SMS, EMAIL વગેરે તમામ પ્રકારે, પરસ્પર વાતચીત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેના બદલે પટકથાની જરૂરિયાત મુજબ બંનેએ કલમ ચલાવીને, માત્ર પત્ર વ્યવહારથી પરસ્પર સંવાદ કરવા હુકમ કર્યો હતો.જોકે, આ પ્રયોગ રંગ લાવ્યો હતો અને બંને વચ્ચે પત્રવ્યવહાર આપ-લેનાં દ્ગશ્યો ફિલ્મમાં વાસ્તવિક ફિલ્માવાના કારણે ખૂશ થવાથી, શ્રીપંકજકપૂર તરફથી, ફિલ્મની હિરોઈન સોનમને સોના-હીરા જડિત રૂ.૨૭ લાખની કાર્ટિયર પેન કંપનીની અત્યંત વૈભવી પેન ભેટમાં મળી હતી.

આમતો પેનના વૈભવી ઉપયોગ સામે કોઈને વાંધો ન હોઈ શકે..! આવી તમામ ઘટનાઓ વૈશ્વિક ફિલ્મ જગતમાં ઘટતી રહે છે પરંતુ, જ્યારે કોઈ પેન ઉત્પાદક કંપની હદ વટાવીને, આપણી આસ્થાના પ્રતીક એવા ભગવાન અથવા સ્વરાજ્ય માટે જાન આપી દેનાર અને એક નાની ખોવાઈ ગયેલી પેન્સિલ શોધવા આખો ઓરડો ઉપર-નીચે કરી નાંખનાર, પૂજ્ય.શ્રીબાપૂના નામે વૈભવી પેન બનાવીને લાખો-કરોડો રુપિયાની કિંમતે બજારમાં વેચાણાર્થે મૂકે ત્યારે દેશમાં વિરોધ થાય તે સાવ સ્વાભાવીક છે. થોડા સમય અગાઉ, એક સ્વિસ પેન ઉત્પાદક કંપનીએ ભગવાન બુદ્ધ,ભગવાન શ્રી ગણેશજી તથા ભગવાન શ્રીશિવજીને ભાવાંજલિ અર્થે, રુદ્રાક્ષના માળાની સંખ્યા મુજબ,સોના-પ્લૅટિનમ પર હીરાજડિત કોતરણીવાળી ફક્ત ૧૦૮ નંગ વૈભવી ફાઉન્ટન પેન (કિંમત રૂ.૭.૫લાખ) તથા ફક્ત ૫૫ નંગ વૈભવી બોલપેન(રૂ.૬ લાખ) બજારમાં રજૂ કરી હતી.



ઉપરાંત, સન-૧૯૩૦ના માર્ચ માસમાં બ્રિટીશ સલ્તનત દ્વારા અન્યાયપૂર્વક નંખાયેલા મીઠાવેરોના વિરોધમાં પૂજ્ય શ્રીગાંધીબાપૂએ અહિંસક આંદોલનરૂપે ૨૪૧ માઈલ લાંબી સફળ દાંડી કૂચ કરેલી, તેના માનમાં સન-૨૦૦૯માં વૈભવી પેન ઉત્પાદક મોન્ટ બ્લૉંક  દ્વારા ૨૪૧ નંગ પેનની ગણીગાંઠી સંખ્યામાં રૂ.૧૪,૦૦,૦૦૦/-ની ગોલ્ડ તથા પ્લૅટિનમ વર્ગની પેન વેચાણાર્થે જાહેરમાં મૂકી હતી. નવાઈની બાબત છેકે, આ `૨૪૧` નંગ ગોલ્ડ-પ્લૅટિનમ વૈભવી પેન ચપોચપ વેચાઈ ગઈ હતી, જ્યારે આ વૈભવી પેન આખી જિંદગી સાદાઈથી પસાર કરનાર એક મહાત્માના નામ પર (માનમાં..!) લાખો રૂપિયામાં વેચવામાં આવી હતી. જોકે, અમારા જેવા કવિ-લેખક, કોઈ દુકાનમાં, જ્યારે પોતાની ઓળખ આપીને વેપારીને પેન બતાવવા જણાવે છે ત્યારે, હંમેશાં વેપારી કવિ-લેખક પર દયાભાવથી, મોંઘી પેન ને બદલે, સસ્તામાં સસ્તી રીફીલ ખરીદવા જણાવી ઉપહાસ કરતા જોવા મળે તો તે સાવ અલગ અને સામાન્ય બાબત છે? આમેય, પોતાની ચાદર પ્રમાણે પગ લાંબા કરવાનું દરેક કવિ-લેખક શીખી ગયા હોવાથી, પેનના શોરૂમમાં સોને-રૂપે-હીરે મઢેલી અવનવી, લોભામણી, વૈભવી પેન કોઈ કવિ-લેખકને લલચાવી જાય તે વાતમાં સહેજ પણ દમ નથી..!

મિત્રો,આપણા દેશમાં, ૧૫ જેટલા મોટા પેન ઉત્પાદક,૧૦૦ મધ્યમ ઉત્પાદક અને ૯૦૦ જેટલા લઘુ ઉત્પાદક, દર વર્ષે, રૂ.૧૫ થી માંડીને રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) સુધીની કિંમતે પેન વેચાણાર્થે મૂકીને, દેશની કુલ આશરે રૂ.૨૫,૦૦૦ લાખ નંગ પેનની જરૂરિયાત પૂર્ણ કરે છે. પેનની ગુણવત્તાની દ્રષ્ટીએ ભારત વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું હોવા છતાં, દેશમાંથી પેન ઍક્સ્પોર્ટના મામલે ચીન કરતાં પાછળ છે.ભારત દર વર્ષે રૂ.૧૧૦/-કરોડની પેન ઍક્સ્પૉર્ટ કરે છે જ્યારે ચીન રૂ.૨,૭૫૫ કરોડની પેન ઍક્પોર્ટ કરે છે. વિશ્વભરમાં પેન માર્કેટનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૩૮ બિલિયાન યુ.એસ.ડોલર (રૂ.૨,૦૯,૨૨.૮ કરોડ) જેટલું છે.જેમાં દર વર્ષે આશરે સાતથી નવ ટકાના દરે સતત વધારો નોંધાય છે.

પર્યાવરણ ભયાવતરણ.

સ્થૂળ હોય કે સૂક્ષ્મ, જડ હોય કે ચેતન, દરેક પદાર્થના સારાં નરસાં પાસાં હોય છે તેમ પેન પરત્વે,`USE  AND  THROW`ની મનોવૃત્તિ વિકસિત થવાને કારણે, ધરતી પર પર્યાવરણને નુકશાન થવાનો ગંભીર ભય માનવીને સતાવે તે સ્વાભાવિક છે. આથી અત્યારથીજ લાગતાવળગતા સત્તાધીશ, પેન ઉત્પાદક, વપરાશકારો તથા નકામી પેનના વેસ્ટને રિસાયકલ કરનારાએ ચેતી જવાની જરૂર છે. પેનનો ઉપયોગ કરીને ફેંકી દેવા જેવી પ્રોડક્ટ બનાવવા પર અંકુશ મૂકવા, સત્તાધિશોએ કાયદાઓ ઘડી તેનો કડક અમલ ઉત્પાદક પાસે કરાવવો પડશે. પેન ઉત્પાદકોએ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી પેન પ્રોડક્ટ બનાવવી પડશે. એક રીફીલ કરતાં પેનમાં અનેક ઘણું વધુ પ્લાસ્ટિક મટિરિયલ હોવાથી, વપરાયેલી પેનને ફેંકવા કરતાં, તેમાં નવી રીફીલ નાંખવાની જહેમત ઉઠાવવી પડશે તથા આપણી ધરતીમાતાના ઉત્તમ સ્વાસ્થ્ય જાળવણી અર્થે પ્લાસ્ટિક રિસાયકલીંગ વેળાએ વાતાવરણ દૂષિત ન થાય તેની કાળજી લેવી જોઈશે. 

જોકે, આ ઉપરાંત, હમણાં શરૂ થયેલી નવી પ્રથા પ્રમાણે ધોરણ દસ કે બારની બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓને,પરીક્ષાના દિવસે સસ્તી-મોંઘી પેન ભેટ આપી શુભેચ્છા પાઠવવાનો પશ્ચિમી પવન શરૂ થયો છે ત્યારે, આખા વર્ષ દરમિયાન સસ્તી પેન વાપરીને ફેંકી દેતાં બાળકોને પણ, તે દિવસે શુભેચ્છા સાથે શુભેચ્છકોએ અને શાળા કક્ષાથી, પ્લાસ્ટિકથી થતા પર્યાવરણના નુકશાન સામે જાગૃતિના પાઠ શીખવવા જોઈશે.

“Education is the Best Friend. An Educated Person is Respected Everywhere. Education beats the Beauty and the Youth.” -Chankya.

કલમ-ખડિયાનો કહેવત વૈભવ.(ગુજરાતી લૅક્સીકોન.)

૧. કલમ કરવી = ઝાડની ડાળીને ત્રાંસી કાપી જુદી ઉગાડવી.

૨. કલમ કરવું = કાપી નાખવું; ખંડિત કરવું.

૩. કલમ મારવી = કલમથી આડો લીટો કાઢવો.

૪. કલમ રોપવી = ઝાડની ડાળી કાપી ભોંયમાં રોપી દેવી.

૫. કલમ અંદાઝ કરવી = લખવાનો અમુક ભાગ છોડી દેવો.

૬. કલમ કાપવી =  નોકરીમાંથી કાઢી મૂકવું.

૭. કલમ કરવી-ઘડવી = કલમની અણી કાઢવી; બરૂને ઘડી કલમ કાઢવી; લેખણ બનાવવી.

૮. કલમ ચાલવી = લખવી.

૯. કલમ વદ કરવી = ઉતારવું; લખવું.

૧૦. કલમ, કડછી ને બરછી = મુસદ્દી લખાણ લખવાની આવડત, રસોઇની આવડત અને યુદ્ધકળા અથવા સિપાઇગીરીની આવડત. 

૧૧. કલમ યારી દેવી = લખ્યા મુજબ વર્તવું. 

૧૨. ખડિયા ખાટવા = ફાવવું; જીતવું.

૧૩. ખડિયા પોટલાં બાંધવાં-ખડિયા ભરવા = (૧) ઊપડી જવું; ઉઠાંતરી કરવી; જતું રહેવું; ઉચાળા ભરવા. (૨) ઘર ફેરવવું.

૧૪. ખડિયામાં ખાપણ અને મોઢામાં તુલસી = મૃત્યુ માટેની કાયમી તૈયારી. 

પેન વિષયક અવનવું.(માનો કે ના માનો..!)

* એક સામાન્ય પેન્સિલથી આશરે ૩૫ માઈલ લાંબી રેખા દોરી શકાય છે જ્યારે એક સામાન્ય બોલ પેન આશરે ૪૦૦૦થી માંડીને ૭૫૦૦ ફીટ લાંબી રેખા દોરી શકે છે.

* સહુથી ઓછી ચીકાશવાળી શાહી ધરાવતી બોલપેન, સન-૧૯૭૭માં `રોલરબોલ` નામે બજારમાં મૂકવામાં આવી હતી.

* લંડનની ૭૫ વર્ષની એક મહિલાના પેટમાંથી ૨૫ વર્ષ પૂર્વે ભૂલથી ગળી ગયેલી પેન ડૉક્ટરે ઑપરેશન કરીને બહાર કાઢતાં સહુના આશ્ચર્ય વચ્ચે તે પેન ત્યારે પણ યોગ્ય રીતે કાર્ય કરતી હતી..!

* બ્રિટિશ સિક્રેટ સર્વિસ એજન્ટ ૦૦૭-જેમ્સ બૉન્ડની સફળ ફિલ્મ `Never Say Never Again (1983)માં યુ.કે.ના યુનિયન ફ્લેગ ચિત્રિત ટચૂકડી પેન ગન (Pen gun)નો ઉપયોગ આતંકવાદી ગ્રૂપ `SPECTRE` (SPecial Executive for Counter-intelligence, Terrorism, Revenge and Extortion)ની સદસ્યા `ફાતિમા બ્લુશ`ને ઉડાવી દેવા જેમ્સ બૉન્ડ કરે છે. ફાતિમાનું પાત્ર જાણીતી અભિનેત્રી બાર્બરાએ ભજવ્યું હતું. 

* તાજેતરમાં,મધ્યપ્રદેશના રીવા શહેરના જાણીતા પ્રાચીન સંગ્રહાલયમાંથી બેલ્ઝિયમના મહારાજાએ રીવા રિયાસતના મહારાજા શ્રીગુલાબસિંહને ભેટ આપેલી તથા આંતરરાષ્ટ્રિય બજારમાં કરોડોની કિંમત ધરાવતી એન્ટિક પેન પિસ્તોલની ચોરી થઈ હતી, જે ઉત્તરપ્રદેશના જાણીતા ચંદનચોર કુંવરજી વણઝારાને ઝડપી લઈ પરત મેળવી.

* આજકાલ બ્લડ પ્રેશર માપક પેન દ્વારા, લખતા સમયે સતત આંગળાંનાં ટેરવાના દબાણને આધારે બ્લડ પ્રેશર માપી શકાય તેવી પેન દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

* સ્વપ્નમાં કલમ-પેન આવે તો પોતાના પ્રિયજન સાથેના સંબંધ ખતરામાં છે.તેવી માન્યતા વિદેશમાં પ્રચલિત છે.

* જ્યારે કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ બહોળા પ્રમાણમાં વ્યાપ્ત ન હતું ત્યારે ફેસબુક,ગૂગલ, સ્કાયપ તથા તેના જેવાં અન્ય અનેક સંપર્કસૂત્ર ન હોવાને કારણે, લેખિત પત્રવ્યવહાર દ્વારા દેશ-વિદેશના અનેક જાણ્યા-અજાણ્યા યુવક-યુવતી, `PEN FRIEND`ના નામે એકમેક સાથે નિત નવી માહિતીની આપલે કરતા હતા. `પેન ફ્રેંડ` શબ્દ પ્રયોગ વિશ્વમાં સહુથી પ્રથમ સન-૧૯૨૦માં સ્વીડનમાં કરવામાં આવ્યો હતો.   

* અમેરિકન કૉમેડિયન,એક્ટર,લેખક,નિર્માતા,શિક્ષણશાસ્ત્રી,સંગીતકાર તથા સામાજિક સેવક વિલિયમ હેનરી બીલ જુનિયર સમગ્ર વિશ્વનો સહુથી મોટો પેનસંગ્રાહક છે.તેની પાસે નેપોલિયન,જુલિયર સીઝર,પ્રિન્સેસ ડાયના જેવી હસ્તિના માનમાં સોના-ચાંદી-પ્લૅટિનમ-હીરામાણેકમોતી મઢેલી સેંકડો વૈભવી પેનનો સંગ્રહ મોજૂદ છે.

* બોલીવુડ ફિલ્મસ્ટાર શ્રીગોવિંદા પણ ભાતભાતની પેન સંગ્રહનો શોખ ધરાવે છે તથા તેની પાસે અસંખ્ય પેનનો સંગ્રહ મોજૂદ છે.

* આપણા દેશ સહિત, વિશ્વના અનેક દેશોમાં લાખો રૂપિયાની કિંમતની પેનના સેટ કોઈ સત્તાધીશને ભેટ આપીને તેની પાસે ધાર્યું કામ કરાવી લેવાની પરંપરા છે.(આને લાંચ કહેવાય?)  

* અનેક સદીઓ પહેલાં પેનની શોધ થવા છતાં, આજે પણ નર્સરી-જુ.કેજી-સિ.કેજીનાં સાવ નાનાં બાળકો સરળતાપૂર્વક લખી કે ચિત્રો દોરી શકે તેવો પેનસેટ હજી સુધી શોધાયો નથી.

* ઘણી સમજુ માતાઓ, પોતાના બાળકને બાળપણથી જ લેખન પરત્વે પ્રોત્સાહિત કરવા માટે નાની-નાની ચબરખીમાં લખીને પોતાની વાત કહેવાની પ્રેમથી ટેવ પાડતી હોય છે. જ્યારે ઘણી માતાઓ કેલેન્ડરમાં પોતાનાં રોજિંદાં કાર્ય નોંધવા પ્રોત્સાહિત કરે છે.

* નાનાં બાળકો અવારનવાર પેન નાક અથવા કાનમાં નાંખી ગંભીર ઈજાગ્રસ્ત થતા હોય છે. પરંતુ, આ અંગે દેશની ઘણી શાળાઓ આજે પણ બાળકોમાં જાગૃતિ અંગે એક પણ કાર્યક્રમ કરતી નથી.

મિત્રો, પેનની તાકાતને કોઈ ઓછી આંકવાની ભૂલ રખે કરી બેસે..! કલમની શક્તિ સમક્ષ પાણીદાર તલવારની તાકાત સુદ્ધાં હંમેશાં પાણી ભરતી જોવા મળી છે. કલમના એક લસરકે અથવા ગોદે, કેટલીય મજબૂત સલ્તનતને જડમૂળથી હચમચાવી કે ઉખાડીને ફંગોળી દીધી હોવાના અનેક ઐતિહાસિક ઉદાહરણ સાહિત્યમાં અંકિત થયેલાં છે. એટલેજ હિન્દી સાહિત્યમાં જેમનું નામ આદરપાત્ર છે તેવા કવિવરશ્રીગોપાલદાસ `નેપાલીજી`ની કાવ્યપંક્તિ અનુસાર,

हर क्रांति कलम से शुरू हुई, संपूर्ण हुई । 
चट्टान जुल्‍म की, कलम चली तो चूर्ण हुई ।
हम कलम चलाकर त्रास बदलने वाले हैं । 
हम तो कवि हैं, इतिहास बदलने वाले हैं ।

આમતો એ પેનનીજ તાકાત હતીકે,જેણે સાહિત્યપ્રેમી ઈંગ્લેંડ માં પોતાના નાના બાળકને દરરોજ રાત્રે મનઘડંત તિલસ્મી વાર્તાઓ કહેતાં-કહેતાં બ્રિટનની એક સામાન્ય નારી નામે, `જે.કે.રોલિંગ.`ને (Joanne "Jo" Rowling.) વિશ્વમાં ઢગલો નાણાં તથા અપાર ખ્યાતિ મળી. મિસિસ રોલિંગ દ્વારા હાથમાં પેન પકડીને આ રસપ્રદ કથાને `હેરી પૉટર`ની શ્રેણી તરીકે એક પછી એક પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યાં, તે સાથેજ આ લેખિકાને ત્યાં શ્રીસરસ્વતીમાતાની કૃપાથી નાણાંનો વરસાદ વરસ્યો તે સર્વવિદિત ઘટના છે.જોકે, આપણા દેશમાં કેટલાક ગણ્યાગાંઠ્યા નામાંકિત કવિ, લેખક, સાહિત્યકાર સિવાય અન્ય સર્વે નામી-અનામી સાહિત્યકારોની આર્થિક-સામાજિક સ્થિતિ વખાણવા લાયક નથી, તે આપણા દેશની કમનસીબી છે..!

"કાર્યને સફળ બનાવવા માટે, કાર્યને ધારેલ અનુકૂળ અંત સુધી લઈ જવું જરૂરી હોય છે." શ્રીજવાહરલાલ નહેરુના આ ચિંતનને સાર્થક કરીને પેનના શોધકર્તાઓએ આપણને લખતા-વાંચતા તો અવશ્ય કરી દીધા. પરંતુ, આપણે પેનને આપણી મિત્ર બનાવવી કે નહીં તે આપણા પર નિર્ભર છે. વિદ્યાર્થીઓના મનોરથ પૂર્ણ કરવા,પ્રેમીઓને પ્રેમપત્ર લખવા, આંધળીમાને દેશાવર ગયેલા દીકરાને પત્ર પાઠવવા, સુખ-દુઃખની વાર્તા-કવિતા લખવા, સામાજિક કાર્યોની નોંધ રાખવા કેપછી, રાજનીતિની દરેક બાબતમાં પ્રતિદ્વંદી સાથે ટક્કર લેવા, આમ જીવનની પ્રત્યેક ક્ષણે આપણને પેન વગર ચાલતું નથી. અરે..એટલે સુધી પણ  કે, હતાશ માણસને આત્મઘાત કરવાની છેલ્લી ક્ષણે, આખરી નોંધ લખવાની તક માત્રને માત્ર પેન તેને આપે છે. શી ખબર, એ હતાશાનાં કારણો, છેલ્લી નોંધ રૂપે અવતરતાં તથા તે કારણે મન હલકું થઈ જતાં કદાચ, તે દુઃખી માનવી નબળી ક્ષણ ચૂકી જઈને નવજીવનને પામે..!

બસ મિત્રો, લેખના અંતે, સાર રૂપે માત્ર એટલું સમજી લઈએકે, પેન-કલમ આપણને સત્યની નજીક લઈ જવાનું ઈશ્વરી કાર્ય કરે છે અને કલમ માત્ર સત્યના ઉપાસકોને જ ફળે છે, તોય આ લખ્યું સાર્થક થશે. મહા કવિ શ્રી નર્મદજીના ડાંડિયાના પહેલી શ્રેણીના, છેલ્લા અંકના, છેલ્લા પાને, ડાંડિયો પિટાયો હતોકે,
"મેં શું શું કિધુંછ તે થોડામાં સમજી લેજોકે મારે, વીર સત્યને રસિક ટેકપણું, અરિ (શત્રુ) પણ ગાશે દિલથી."

`જય હો પેન મૈયા..!` 

અસ્તુ.

માર્કંડ દવે.તા.૨૩-૧૨-૨૦૧૨.

2 comments:

  1. From-Dave Satishchandra
    To
    Markand Dave

    It is true that every thing & anything is available on NET now a days, but,TO SELECT A SUBJECT and TO SEARCH THE DETAILS REGARDING EACH & EVERY POINT NEEDS A STEADY CONCENTRATION and PATIENCE.

    It is seen in this article.

    HATS OFF TO U MARKAND for this SUBJECT and SALUTE TO the PAIN taken to RESEARCH ALL DETAILS, WHICH COMES IN YOUR MIND.

    Dave Satishchandra

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.